મિથાઇલ જેવા ઝેરી તત્વોને કારણે લઠ્ઠામાં મોટાભાગના લોકો દ્રષ્ટિમાં ઝાંખપ આવવી, સતત વોમિટ થવાની સમસ્યા અનુભવે છે.ગુજરાતમાં (Gujarat) મિથાઈલકાંડ (methyl chemical) સર્જાતા 39 લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. અમદાવાદ- બોટાદ જિલ્લાના ગામોમાં કથિત લઠ્ઠાકાંડથી (hooch tragedy) મૃત્યુનો આંક વધી રહ્યો છે. આ કાડને કારણે અસરગ્રસ્ત 60 દર્દીઓ અમદાવાદ, ભાવનગર અને બોટાદની સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે. દારૂબંધીવાળા ગુજરાતમાં આ મિથાઇલકાંડ થતા અત્યારસુધીમાં 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ છે જેમાંથી 7ની ધરપકડ કરવામાં આવી છે. રાણપર ગામમાં 11 આરોપીઓ સામે ફરિયાદ થઇ છે જેમાંથી 6ની ધરપકડ કરી લેવામાં આવી છે. ધંધુકામાં 8 સામે ફરિયાદ થતા તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીને આજે પોલીસ કોર્ટમાં રજૂ કરી શકે છે.
આકરું ગામના 3, ઉચડી ગામના 2, ભીમનાથ ગામના 1, કુદડા ગામના 2, ખરડ ગામના 1, વહિયા ગામના 2, સુંદરણીયા ગામના 1,પોલારપુર ગામના 2, દેવગણા ગામના 5, વેજલકા ગામના 1 અને રાણપરી ગામના 3 લોકોના મોત નીપજ્યા છે. અમદાવાદથી 600 લિટર કેમિકલ આપનાર જયેશ અને લેનાર ત્રણ બૂટલેગર ઝડપાયા છે.
કઇ રીતે અમદાવાદથી ગામોમાં પહોંચ્યુ કેમિકલ?
39 લોકોનો ભોગ લેનાર મિથાઈલ કેમિકલ અમદાવાદથી જયેશ ખાવડિયાએ ચોરીને તેના ફોઈના દીકરા સંજયને આપ્યો હતો. કુલ 600 લિટરમાંથી બરવાળાના નભોઈ ગામ અને આસપાસ દારુનો ધંધો કરતા સંજયે 200 લિટર રાખ્યું હતું. સંજયે અન્ય બૂટલેગરને રાણપુરના અજીત અને બરવાળાના ચોકડી વિસ્તારના બૂટલેગર પિન્ટુ દેવીપૂજકને 200 – 200 લિટર આપ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જયેશ ખાવડિયાને તેમજ બોટાદ પોલીસે ત્રણ બૂટલેગરને ઝડપી કુલ 460 લિટર કેમિકલ પણ જપ્ત કરવામાં આવ્યું છે.
અસરગ્રસ્તો દ્રષ્ટી પણ ગુમાવી શકે છે
તબીબોના જણાવ્યા પ્રમાણે, મિથાઇલ જેવા ઝેરી તત્વોને કારણે લઠ્ઠામાં મોટાભાગના લોકો દ્રષ્ટિમાં ઝાંખપ આવવી, સતત વોમિટ થવાની સમસ્યા અનુભવે છે. દર્દીની સ્થિતિ વધુ વકરે તો તેવી સ્થિતિમાં તે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે તેવી પણ રહેલી છે. નોંધનીય છે કે, 2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ 200 જેટલા દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હતી. એ વખતે કેમિકલયુક્ત દેશી દારૂથી બાપુનગર, ઓઢવ, કાંકરિયા વિસ્તારમાંથી 123 લોકોના મોત થયા હતા.
પોલીસ વડાએ આપી હતી માહિતી
રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે, અમદાવાદના અસલાલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની અમોસ કેમિકલ ફેક્ટરીનો જયેશ ખાવડિયા મુખ્ય સૂત્રધાર છે. જયેશ AMOSમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. પરંતુ તેણે આ ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ ચોરી કરીને બહાર વેચ્યું હતુ. જયેશે માત્ર 40,000 રૂપિયાની લાલચે આ મિથાઈલ કેમિકલ ચોરી કરીને વેચ્યું હતુ. પોલિસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ 600 લિટર કેમિકલ જયેશે 40,000 રૂપિયામાં વેચ્યું હતુ. ભાટિયાએ વધુમાં કહ્યું કે, 460 લિટર કેમિકલ કબ્જે કર્યું છે અને 24 કલાકમાં મોટા ભાગના આરોપીને પકડવામાં આવ્યા આવ્યા છે. FIRમાં કુલ 13 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ તમામ કોઈ રિઢા ગુનેગાર નથી.