ગુજરાત

રાજકોટ શહેરમાં રખડતાં શ્વાનનો આતંક, એક વર્ષમાં 6500થી વધુ લોકોને શ્વાન કરડ્યાં

રાજકોટ શહેરમાં રખડતાં મોટા ઢોરની સાથે સાથે રખડતાં શ્વાન પર શહેરીજનોને પરેશાન કરી રહ્યા છે, શહેરમાં રખડતાં શ્વાનનો આતંક એટલો છે કે ચાલુ મહિને 300થી વધારે લોકોને શ્વાન કરડ્યાં છે.તો આ વર્ષમાં જ આ આંકડો 6500થી વધારે લોકોને શ્વાને બચકાં ભર્યા છે. એક તરફ મહાનગરપાલિકા શ્વાન ખસીકરણ મુદ્દે મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરે છે જેની સામે રખડતાં શ્વાનથી લોકો હેરાન પરેશાન છે.

અનેક સોસાયટીના રહીશો છે પરેશાન

રાજકોટ શહેરમાં ગાય,આંખલા જેવા રખડતાં ઢોરથી લોકો પરેશાન હતા અને તેના કારણે અકસ્માત તથા અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. ત્યારે રખડતાં ઢોરની સાથે રખડતાં શ્વાનથી પણ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શહેરના અનેક વિસ્તારોમાં રખડતાં શ્વાનનો આતંક છે. રાજકોટના વોર્ડ નંબર 17ના અટીકા વિસ્તારની યોગેશ્વર સોસાયટીના રહીશોનું કહેવું છે કે, અહીં રખડતાં શ્વાનનો આતંક છે. અહીં મહિને ચારથી પાંચ જેટલા લોકો શ્વાન કરડવાને કારણે ઇજાગ્રસ્ત થાય છે. લોકોનું કહેવું છે તે મનપાને અનેક વખત રજૂઆત કરવા જતા પણ કોઇ નિરાકરણ નથી આવતું અને રખડતાં શ્વાનનો ત્રાસ હજુ પણ યથાવત છે.

ખસીકરણ પાછળ દર વર્ષે લાખોનો ખર્ચ

આ તરફ રખડતાં શ્વાનનો ત્રાસ દૂર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા ખસીકરણ યોજના લાગૂ કરી છે.દર વર્ષે મહાનગરપાલિકા લાખો રૂપિયાનો ખર્ચ કરે છે.જો આંકડાકીય માહિતી પર નજર કરીએ તો..

  •   વર્ષ  2016-17 – રુ. 76.44 લાખ
  • વર્ષ  2017-18 – રુ. 57.15 લાખ
  • વર્ષ  2018-19 – રુ. 72.98 લાખ
  • વર્ષ  2019-20 – રુ. 103.76 લાખ
  • વર્ષ  2020-21 – રુ. 82.08 લાખ
  • વર્ષ  નવે. 2022 સુધી – રુ. 59.07 લાખ

ચાલુ વર્ષે શ્વાન કરડવાના કિસ્સા

  • એપ્રિલ – 1387 કેસ
  • મે – 1345 કેસ
  • જૂન – 677 કેસ
  • જુલાઇ – 500 કેસ
  • ઓગસ્ટ – 547 કેસ
  • સપ્ટેમ્બર – 586 કેસ
  • ઓક્ટોબર – 502 કેસ
  • નવેમ્બર – 592 કેસ
  • ડિસેમ્બર – 282 કેસ

મહાનગરપાલિકાનો દાવો છે કે વર્ષ 2008થી ખસીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ પૂર્વે મનપાની હદમાં 40 થી 45 હજાર જેટલા શ્વાન હતા જે બાદ તેની ક્રમશ: સંખ્યા ઘટી છે. હાલમાં 7 નવા ગામડાંઓ ભળ્યા હોવા છતા પણ શ્વાનની સંખ્યા 30 હજાર જેટલી છે. ખસીકરણ ઝુંબેશ સતત ચાલી રહી છે અને સંવેદનશીલ વિસ્તારોને ધ્યાનમાં રાખીને ત્યાં શ્વાનનું ખસીકરણ કરવામાં આવે છે.

મહાનગરપાલિકા ગમે તેટલો દાવો કરે પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ છે. રાજકોટ શહેરમાં રાત્રીના સમયે અને બપોરના સમયે રખડતાં શ્વાનનો ત્રાસ ખૂબ જ વધી જાય છે.લોકો શ્વાનનો ત્રાસ દૂર કરવા માટે મનપા નક્કર પગલાં લે તેવી માંગ કરી રહ્યા છે.ગાય આંખલાની જેમ જ રખડતાં શ્વાન પણ એટલી જ મોટી સમસ્યા છે જેને લઇને તંત્રએ યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે.

administrator
R For You Admin