રાહુલ ગાંધીએ ભારત-ચીન સેના અથડામણ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરતા અનેક સવાલો કર્યા હતા. હવે ભાજપે તેમના પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના ઘણા નેતાઓએ રાહુલના આ નિવેદનની ટીકા કરી છે. આ ક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, તેની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે. ભારતીય સેના એ પરાક્રમ અને શક્તિનું પ્રતિક છે. આપણે જાણીએ છીએ કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી સાથે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. નડ્ડાએ કહ્યું કે જ્યારે ભારતીય સેના ડોકલામમાં હતી ત્યારે રાહુલ ગાંધી ચીનના દૂતાવાસમાં ચીનના અધિકારીઓને ચૂપચાપ મળ્યા હતા.
જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે, અમે એ પણ જાણીએ છીએ કે તેમણે સર્જિકલ સ્ટ્રાઈક અને પુલવામા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તે જણાવે છે કે તે ભારતની ભાષા બોલતા નથી. હું આવા નિવેદનોની નિંદા કરું છું, તે રાહુલ ગાંધીની દેશ પ્રત્યેની માનસિકતા દર્શાવે છે.
ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે: રાહુલ ગાંધી
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, જ્યારે ભારત સરકાર ઊંઘી રહી છે અને જોખમને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચીને 2,000 ચોરસ કિલોમીટરનો ભારતીય વિસ્તાર છીનવી લીધો છે, 20 ભારતીય સૈનિકોને મારી નાખ્યા છે અને અરુણાચલ પ્રદેશમાં આપણા જવાનો સાથે મારપીટ કરી રહી છે.
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને માર માર્યો હતો અને તેમનો પીછો કર્યો હતો અને દેશના દરેક નાગરિકને તેમના પર ગર્વ છે. તેમણે પૂછ્યું, ભારતના જયચંદ, રાહુલ ગાંધી આપણા બહાદુર જવાનોનું મનોબળ કેમ તોડી રહ્યા છે?
દેશ હવે દુનિયાને રાહ બતાવી રહ્યો છે
તેમણે કહ્યું કે દેશના સૈનિકોએ બતાવેલી બહાદુરીથી દરેક ભારતીય નાગરિક ખુશ છે જ્યારે તેના દુશ્મન અને કોંગ્રેસે ઘણું દર્દ થયું છે. તેમણે કહ્યું કે આ 1962નું ભારત નથી કારણ કે તેના બહાદુર સૈનિકો પાસે પણ મોદીનું મજબૂત રાજકીય નેતૃત્વ છે. ભાટિયાએ દાવો કર્યો હતો કે છેલ્લા 8 વર્ષથી વધુ સમયમાં કોઈએ એક ઈંચ પણ ભારતીય વિસ્તાર કબજે કર્યો નથી. ભારતને કોઈ ડરાવી શકે તેમ નથી. તેમણે કહ્યું કે દેશ હવે દુનિયાને રાહ બતાવી રહ્યો છે