વર્ષે 2023ની પ્રથમ સિરીઝમાં ભારતીય ટીમની ટક્કર શ્રીલંકા સામે થશે. શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસ પર આવી રહી છે અને બંન્ને વચ્ચે 3 ટી 20 અને 3 વનડે મેચની સીરિઝ રમાશે. આ બંન્ને સિરીઝ માટે ભારતીય ટીમની ટુંક સમયમાં જાહેરાત થશે. આ વચ્ચે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે શ્રીલંકા વિરુદ્ધ ટી 20 સિરીઝમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી રમશે નહીં. મીડિયા રિપોર્ટસ મુજબ વિરાટ કોહલીએ સિરીઝ માટે આરામ માંગ્યો છે તો રોહિત શર્મા ફીટ નથી.
ક્રિકબઝના રિપોર્ટ મુજબ સિલેક્શન કમેટીએ મંગળવારના રોજ યોજાનારી બેઠકમાં સમગ્ર ફોક્સ રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે. રોહિત શર્મા હજુ પણ ફિટ નથી અને તેની ઈજાને જોઈ તેને થોડા દિવસ માટે આરામની જરુર છે. કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલીએ ટી 20 સિરીઝ માટે આરામ માંગ્યો છે.
હાર્દિક પંડ્યા સંભાળશે કેપ્ટનશીપ
ન્યૂઝીલેન્ડમાં ટીમ ઈન્ડિયાને T20 સિરીઝ જીતાડનાર હાર્દિક પંડ્યા શ્રીલંકા સામે પણ કેપ્ટનશીપ કરતો જોવા મળશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ના રમવાના કારણે પસંદગીકારો યુવા ખેલાડીઓને તક આપી શકશે. એવા પણ અહેવાલ છે કે રવિન્દ્ર જાડેજા ટીમમાં વાપસી કરી શકે છે. બીજી તરફ દિલ્હીના બેટ્સમેન યશ ધુલને ટીમ ઈન્ડિયામાં તક મળી શકે છે. જો કે રોહિત શર્મા અને વિરાટ કોહલી વનડે સિરીઝમાં રમતા જોવા મળી શકે છે. 2023માં જ ODI વર્લ્ડ કપ યોજાવાનો છે, જેને ધ્યાનમાં રાખીને ટીમના તમામ મહત્વના ખેલાડીઓ ODI સિરીઝ રમતા જોવા મળશે.
શું જસપ્રિત બુમરાહ અને ઋષભ પંત પણ ટીમમાં હશે?
સવાલ એ પણ છે કે શું જસપ્રિત બુમરાહ ફિટ છે? શું તે શ્રીલંકા સામેની વનડે કે ટી-20 સિરીઝમાંથી કોઈ એકમાં રમતા જોવા મળશે? સવાલ ઋષભ પંતના સ્થાનને લઈને પણ છે. પંતનું ટી20 ફોર્મેટમાં ખૂબ જ ખરાબ રેકોર્ડ રહ્યો છે, તેથી તે જોવાનું રસપ્રદ રહેશે કે શું તેને ટીમમાંથી બહાર કરવામાં આવશે અને તેના સ્થાને ઈશાન કિશન કે સંજુ સેમસનને લેવામાં આવશે? આ બંને ખેલાડીઓએ તાજેતરના સમયમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
ભારત-શ્રીલંકા સિરીઝનો કાર્યક્રમ
ત્રણ મેચોની T20 સિરીઝની પ્રથમ મેચ 3 જાન્યુઆરીથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ પછી બીજી મેચ 5 જાન્યુઆરીએ પૂણેમાં રમાશે. ત્રીજી ટી-20 7 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
10 જાન્યુઆરીથી વનડે સિરીઝની શરુઆત થશે. ગુવાહાટીમાં પ્રથમ મેચ રમાશે. બીજી વનડે કોલકતાના ઈડન ગાર્ડનમાં 12 જાન્યુઆરીના રોજ રમાશે. 15 જાન્યુઆરીના રોજ છેલ્લી વનડે મેચ તિરુવનંતપુરમમાં રમાશે. આ મેચ રાત્રે 7 કલાકે અને વનડે સિરીઝ બપોરના 2 કલાકે રમાશે.